Oct 27, 2018

ભજન - વૈષ્ણવ જન તો તેને રે કહીએ





વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે ... વૈષ્ણવજન
સમ દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે ... વૈષ્ણવજન
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે ... વૈષ્ણવજન
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે,
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે ... વૈષ્ણવજન

No comments:

Post a Comment