ads top

રામદેવપીરના ૨૪ ફરમાન


રામદેવપીરના ૨૪ ફરમાન
શ્રી રામદેવપીર મહારાજની સમાધી
વિક્રમ સંવત ૧૫૧૫ ભાદ્રપદ સુદી ૧૧ને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધીમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને ચોવીસ ફરમાનરૂપે અંતિમ બોધ આપ્યો. તે ચોવીસ ફરમાનો નીચે પ્રમાણે છેઃ
કહે રામદેવ સુણો ગતગંગા,
(૧)
પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન;
જીવમાત્ર પર દયા રાખવી ભુખ્યાને દેવું અન્નદાન.
(૨)
ગુરુચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર;
જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર.
(૩)
વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહિ ગતના ગોઠીને;
આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને.
(૪)
ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારને ધાર;
ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તી તણી લાર.
(૫)
તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ;
તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહિ લવલેશ.
(૬)
સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર;
જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ.
(૭)
વચન વિવેકી જે હોય નરનારી નેકી ટેકીને વળી વૃતધારી;
તે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી.
(૮)
માત મિતા ગુરુ સેવા કરવી કરવો અતિથી સત્કાર;
સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર.
(૯)
પ્રથમ પરોઢીયે વ્હેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ;
એકમના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ.
(૧૦)
એક આસને અજપા જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ;
દશેય ઈન્દ્રીયોનુ જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ.
(૧૧)
દિલની ભ્રાંતી દૂર કરવી ત્યજવા મોહ માન અભિમાન;
મૃત્યુ સિવાય સર્વે મીથ્યા માનવું સમજવું સાચુ જ્ઞાન.
(૧૨)
સંપતિ પ્રમાણે સોડ તાણવી કિર્તિની રાખવી નહિં ભુખ;
મોટપનો જો અહં ત્યજશો તો મટી જાશે ભવ દુઃખ.
(૧૩)
સદવર્તનને શુભાચાર કેળવવા વાણી વદતાં કરવો શુધ્ધ વિચાર;
સ્વાશ્રયે જીવન વિતાવવું અલખ ધણીનો લઈ આધાર.
(૧૪)
દીનજનોના સદા હિતકારી પરદુઃખે અંતર જેનું દુઃખાય;
નિશ્વય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય.
(૧૫)
નિસ્વાર્થીને વળી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ;
એક ચિતે ભકિત કરે તેને જાણવા હરિના દાસ.
(૧૬)
જનસેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય;
ઉંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય.
(૧૭)
ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભકિતમાં વિશ્વાસ;
અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પામે પૂર્ણ વિશ્વાસ.
(૧૮)
કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર;
પરવૃતિમાં ચાલે કોઈ વિરલાં કોઈ વિવેકી નર ને નાર.
(૧૯)
ભકિતને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી;
તે જન નહિ સેવક અમારા નહિ પાટપૂજાના તે અધિકારી.
(૨૦)
ભકિતભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ;
નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ.
(૨૧)
સભામહિ સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ;
મુજ પદ નો તે છે જીવ અધિકારી પામી પદ નિરવાણ.
(૨૨)
નવને વંદન, નવને બંધન, વળી જે હોય નવઅંકા;
નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિને કોઈ નરબંકા.
(૨૩)
દાન દીએ છતાં રહે અજાચી વળી પારકી કરે નહિ આસ;
આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ.
(૨૪)
હું છું સૌનો અંતરયામી નિજ ભક્તનો રક્ષણહાર;
ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર.
રામદાસ કહે સુણો સંતજન,
લીલુડો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમ પદની ઓળખાણ;
સમાધી ટાણે બોધ રૂપે આપી આજ્ઞા ચોવીસ ફરમાન.
Share on Google Plus

About Unknown

Ut wisi enim ad minim veniam, quis nostrud exerci tation ullamcorper suscipit lobortis nisl ut aliquip ex ea commodo consequat. Duis autem vel eum iriure dolor in hendrerit in vulputate velit esse molestie consequat, vel illum dolore eu feugiat nulla facilisis at vero eros et accumsan et iusto odio dignissim qui blandit praesent luptatum zzril delenit augue duis.

0 comments:

Post a Comment